You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આ તસવીરો, જેનાથી દિલ્હી પોલીસની કાર્યવાહી પર દેશ વિદેશમાં ઊઠી રહ્યા છે સવાલો
20 જુલાઈના રોજ કૉક્રોચ જનતા પાર્ટીના ચલો સંસદ કૂચ દરમિયાન પોલીસની કડકાઈ અંગે ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે. ઘણા આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સમૂહોએ પણ ચિંતા વ્યક્ત કરી છે.
માનવાધિકાર સંગઠન એમનેસ્ટી ઇન્ટરનૅશનલે એક નિવેદન જાહેર કરીને કહ્યું, "ટીયર ગેસ અને લાઠીચાર્જ. મેટ્રો સેવાઓ સ્થગિત, મોબાઇલ ઇન્ટરનેટ બંધ. શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ સામે બિનજરૂરી અને વધુ પડતા બળપ્રયોગના અહેવાલો સામે આવ્યા છે."
"પ્રશ્નપત્ર લીકથી પ્રભાવિત લાખો વિદ્યાર્થીઓ કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે સંસદ તરફ કૂચ કરી રહ્યા હતા. આ દરમિયાન દિલ્હી પોલીસે હિંસક કાર્યવાહી કરી હતી."
એમ્નેસ્ટી ઇન્ટરનૅશનલે જણાવ્યું હતું કે "ભારતીય અધિકારીઓએ ખાતરી કરવી જોઈએ કે કૉક્રોચ જનતા પાર્ટીના નેતૃત્વમાં આ વિરોધ પ્રદર્શનો દરમિયાન ગેરકાયદેસર આચરણ અને બળપ્રયોગના તમામ આરોપોની તાત્કાલિક, સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે."
દરમિયાન, માનવાધિકાર સંગઠન હ્યુમન રાઇટ્સ વૉચે જણાવ્યું છે કે 20 જુલાઈના રોજ હજારો વિરોધીઓએ કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગણી સાથે ભારતીય સંસદ તરફ કૂચ કરવાનો પ્રયાસ કર્યો હતો. ઘણા લોકો ઘાયલ થયા હતા અને મોટી સંખ્યામાં વિરોધીઓની અટકાયત કરવામાં આવી હતી. અધિકારીઓએ શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ સામે કથિત ગેરકાયદેસર અને વધુ પડતા બળપ્રયોગ સહિત તમામ આરોપોની નિષ્પક્ષ તપાસ કરવી જોઈએ.
પોલીસ કાર્યવાહીમાં ઘણા લોકો ઘાયલ થયા હતા. એક મહિલા પ્રદર્શનકારીની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. જોકે, હૉસ્પિટલ ઑથોરિટીએ બાદમાં એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે તેની હાલતમાં સુધારો થઈ રહ્યો છે.
દિલ્હી પોલીસ આ આરોપોને નકાર્યા હતા અને કહ્યું હતું કે તે કાયદો વ્યવસ્થા અને શાંતિ જાળવવા માટે કાર્યવાહી કરી હતી.
દિલ્હી પોલીસે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, 20 જુલાઈના રોજ થયેલા હિંસક વિરોધ પ્રદર્શન દરમિયાન ફરજ પર રહેલા દિલ્હી પોલીસના સ્પેશિયલ કમિશનર જૉઇન્ટ કમિશનર, ઍડિશનલ કમિશનર અને ડેપ્યુટી કમિશનર રૅન્કના અધિકારીઓ સહિત દિલ્હી પોલીસ અને કેન્દ્રીય પોલીસ દળના 118થી વધુ પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ દરમિયાન સુપ્રીમ કોર્ટે બુધવારે પ્રદર્શનકારીઓ સામે પોલીસ કાર્યવાહી અંગે સુઓમોટો લેવા અને અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો.
ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે અરજદારને વીડિયો બતાવીને કોર્ટનો સમય "બગાડવો" નહીં અને કાયદા હેઠળ ઉપલબ્ધ યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવા કહ્યું.
કાર્યવાહી શરૂ થઈ ત્યારે મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતાવાળી બૅન્ચ સમક્ષ આ મામલો ઉઠાવવામાં આવ્યો હતો.
એક વકીલે સુઓમોટો સંજ્ઞાન લેવાની માંગ કરતા કહ્યું કે આ મામલો દિલ્હી પોલીસે હજારો વિદ્યાર્થીઓ સામે કરેલી કાર્યવાહી સાથે સંબંધિત છે.
સીપીઆઈ(એમ) પાર્ટીના "ચલો સંસદ"ના આહ્વાન હેઠળ વિદ્યાર્થીઓ સંસદ તરફ કૂચ કરી રહ્યા હતા. પ્રદર્શનકારીઓ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા, કથિત પરીક્ષા પેપર લીક અને રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી (એનટીએ)માં સુધારાની માંગ કરી રહ્યા હતા.
જ્યારે અરજદારના વકીલે વિરોધ પ્રદર્શનના દિવસનો વીડિયો બતાવવાનું કહ્યું, ત્યારે મુખ્ય ન્યાયાધીશે વકીલને કહ્યું, "અમારો સમય ન બગાડો અને તમારો સમય પણ ન બગાડો."
ઉલ્લેખનીય છે કે ચીફ જસ્ટિસ સૂર્યકાંતની એક ટિપ્પણી પછી કૉક્રોચ જનતા પાર્ટીનો જન્મ થયો હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન