ઈરાન પર સળંગ સાતમી રાતે અમેરિકાના હવાઈ હુમલા - ન્યૂઝ અપડેટ

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

અમેરિકન સૈન્યએ જણાવ્યું છે કે તેમણે સળંગ સાતમી રાતે ઈરાન પર હુમલા કર્યા છે. અમેરિકન પ્રમખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેની કામચલાઉ સંઘર્ષવિરામ સંધિ સમાપ્ત થયાની જાહેરાત થઈ, ત્યારથી અમેરિકાના હુમલા ચાલુ છે.

યુએસ મિલિટરી સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકોમ)એ જણાવ્યું કે કમાન્ડર ઇન ચીફના આદેશ મુજબ ઈરાનની સૈન્ય ક્ષમતા સતત ઘટાડવા આ હુમલા કરવામાં આવ્યા હતા.

ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ (આઈઆરજીસી)એ જણાવ્યું કે હોર્મુઝની સામુદ્રધુનીમાં સુરંગો બિછાવેલા વિસ્તારમાંથી પસાર થતી વખતે બે ઑઇલ ટૅન્કરોમાં વિસ્ફોટ થયા હતા. જોકે, અમેરિકાએ આ દાવાને રદિયો આપ્યો છે.

ઈરાનના મીડિયા પ્રમાણે યઝદ શહેર અને કાશમ ટાપુ સુધી વિસ્ફોટનો અવાજ સાંભળવા મળ્યો હતો.

અમેરિકા અને ઈરાનની સેના એકબીજા પર હુમલા કરી રહી હોવાથી હોર્મુઝની સામુદ્રધુનીમાં જહાજોનું આવનજાવન ફરીથી અટકી ગયું છે. સામાન્ય રીતે આ રૂટ પરથી દુનિયાનો પાંચમા ભાગનો ઑઇલ અને ગૅસ પુરવઠો પસાર થતો હોય છે.

સોનમ વાંગચુકને પોલીસ હૉસ્પિટલે લઈ ગઈ, જંતરમંતરને ખાલી કરાવવાનું શરૂ

દિલ્હીમાં જંતરમંતર ખાતે ચાલી રહેલા પ્રદર્શન મામલે મોટો વળાંક આવ્યો છે. 20 દિવસથી અહીં ભૂખ હડતાલ પર બેસેલા સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકને પોલીસ હૉસ્પિટલે લઈ ગઈ છે. ત્યાર પછી તરત જંતરમંતર પરથી પ્રદર્શનકારીઓને હટાવવાનું શરૂ થઈ ગયું છે.

એએનઆઈના અહેવાલ પ્રમાણે મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ અહીંથી લોકોને હટાવી રહ્યા છે. મહિલાઓને હટાવવા માટે મોટી સંખ્યામાં મહિલા પોલીસ કર્મચારીઓ આવ્યા છે.

પીટીઆઈ મુજબ સોનમ વાંગચુકને સફદરજંગ હૉસ્પિટલે લઈ જવામાં આવ્યા છે અને કૉકરોચ જનતા પાર્ટી (સીજેપી)ના સ્થાપક અભિજિત દીપકેને પણ હિરાસતમાં લેવામાં આવ્યા છે.

દીપકેએ ઍક્સ પર લખ્યું છે કે "દિલ્હી પોલીસે મારી સાથે મારપીટ કરી છે અને મને અટકાયતમાં લીધો છે."

દરમિયાન દિલ્હી પોલીસે ઍક્સ પર પોસ્ટ કરી છે કે, "હાઈકોર્ટના આદેશ અને સોમન વાંગચુકની કથળતી હાલત વિશે તબીબી નિષ્ણાતોની સલાહના પગલે તેમને જરૂરી તબીબી સારસંભાળ માટે હૉસ્પિટલે ખસેડવામાં આવ્યા છે."

પોસ્ટમાં જણાવાયું છે કે "પ્રદર્શનકારીઓએ અવરોધ સર્જવા પ્રયાસ કર્યો હતો, જેથી થોડો સમય હંગામો થયો હતો. જોકે, પોલીસે મહત્તમ સુરક્ષા સાથે કાર્યવાહી પૂરી કરી હતી."

કૉકરોચ જનતા પાર્ટીના પ્રવક્તા સૌરભ દાસે 'X' પર લખ્યું છે કે, "દિલ્હી પોલીસે અભિજિત દીપકેને તેમના રોકાણના સ્થળેથી અટકાયતમાં લીધા છે."

"લોકો મને જણાવી રહ્યા છે કે સોનમ વાંગચુકને વિરોધ પ્રદર્શનના સ્થળેથી ઉઠાવી લેવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરવામાં આવી રહ્યો છે."

મતદારયાદીમાંથી નામ નીકળી જાય તેનો અર્થ નાગરિકત્વ ગુમાવ્યું એવો નથીઃ સુપ્રીમ કોર્ટ

તાજેતરમાં એસઆઈઆરની પ્રક્રિયા દરમિયાન લાખો લોકોના નામ મતદારયાદીમાંથી નીકળી ગયા છે જેના કારણે તેમને કેટલીક કલ્યાણ યોજનાઓના લાભ મળી શકતા નથી.

આ મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે કોઈનું નામ મતદારયાદીમાં ન હોય તેનો અર્થ એવો નથી કે તેઓ આપોઆપ ભારતનું નાગરિકત્વ ગુમાવી દે છે.

લાઇવ લૉના અહેવાલ પ્રમાણે સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે "ચૂંટણીપંચ એ નાગરિકત્વ નક્કી કરવા માટેની સર્વોચ્ચ ઑથોરિટી નથી, તથા મતદારયાદીમાંથી નામ કમી થઈ જાય તેથી વ્યક્તિ નાગરિકત્વ ગુમાવતી નથી."

પ્રસેનજીત બોઝ નામના અરજકર્તા દ્વારા કરવામાં આવેલી પિટિશન પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે આમ કહ્યું હતું.

અરજકર્તાની દલીલ હતી કે "એસઆઈઆર પછી 19 એપેલેટ ટ્રિબ્યુનલ સમક્ષ 34 લાખ અરજીઓ હજુ પેન્ડિંગ છે. હજુ સુધીમાં લગભગ 38 હજાર અરજીઓનો નિકાલ થયો છે. તેનો અર્થ એવો થયો કે ઓછામાં ઓછી 70 ટકા અરજીઓ ગ્રાહ્ય રાખવામાં આવે છે."

મૅક્સિકોમાં 7.3ની તીવ્રતાના ભૂકંપ પછી સુનામીની ચેતવણી

મૅક્સિકોમાં 7.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે અને હવે તેના કારણે સુનામી આવે તેવી શક્યતા છે. સમાચાર એજન્સી રૉયટર્સ મુજબ ગ્વાટેમાલા અને અલ સાલ્વાડોરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

મૅક્સિકોના સમુદ્રકિનારે શુક્રવારે સાંજે 7.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. અમેરિકન સુનામી વોર્નિંગ સિસ્ટમ મુજબ મૅક્સિકો અને ગ્વાટેમાલાના સમુદ્રકિનારે 0.3થી એક મીટર ઊંચી સુનામીની લહેરો ઉઠી શકે છે.

સાઉથ મૅક્સિકોના ઓઆક્સાકા રાજ્યના ગવર્નર સલોમોન જારા ક્રૂઝે જણાવ્યું કે ભૂકંપના આંચકા મધ્યમ તીવ્રતાના હતા. હજુ સુધી કોઈ મોટા નુકસાનના અહેવાલ નથી.

ભૂકંપના કારણે ગ્વાટેમાલા શહેરના લોકો ગભરાઈને પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. અમેરિકન ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ મુજબ ભૂકંપનું કેન્દ્ર મૅક્સિકો શહેરના પ્યૂર્ટો માદેરો નજીક અને 15.2 કિલોમીટરની ઉંડાઈએ હતું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન