સોનમ વાંગચુકના આમરણ ઉપવાસના 20 દિવસ, ગુજરાતથી દિલ્હી પહોંચેલા યુવાનોએ શું કહ્યું?

    • લેેખક, આર્જવ પારેખ
    • પદ, બીબીસી સંવાદદાતા, દિલ્હીના જંતરમંતરથી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 6 મિનિટ

"આ સરકાર દેશના ઇતિહાસની સૌથી લોકશાહી વિરોધી સરકાર છે…"

"આ સરકાર તાનાશાહી સરકાર છે…"

"શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપો..."

દિલ્હીના જંતરમંતર પર તમે જેવા એન્ટ્રી લો છો ત્યાં જ આ પ્રકારની નારેબાજી સંભળાવાની શરૂ થઈ જાય છે.

સવારના સાત વાગ્યાથી જ ધીમો ધીમો લોકોનો પ્રવાહ ધરણાપ્રદર્શનનાં સ્થળે આવવાનો શરૂ થઈ જાય છે.

10-10:30 સુધીમાં તો ધીમેધીમે સ્ટેજ સહિત આખું આંદોલનસ્થળ ધબકતું થઈ જાય છે અને દેશનાં અનેક રાજ્યોમાંથી દરરોજ લોકો આવી રહ્યા છે.

આજે સોનમ વાંગચુકના આંદોલનનો 20મો દિવસ હતો. તેમણે કરેલી ભાવુક અપીલ અને તેમના કથળતા સ્વાસ્થ્યને કારણે છેલ્લા બે દિવસથી લોકોનો પ્રવાહ વધ્યો હોય એવું પ્રતીત થાય છે.

આંદોલનના 28મા દિવસે કેવો માહોલ છે?

લગભગ બે અઠવાડિયાં પહેલાં જંતરમંતર પર ભીડ બહુ ઓછી હતી. એ સમયે એવું પ્રતીત થઈ રહ્યું હતું કે કૉક્રોચ જનતા પાર્ટીનાં કેટલાક સ્વયંસેવકો અને લૅફ્ટ સંગઠનોના લોકો જ આંદોલનમાં ભાગ લઈ રહ્યા છે.

પરંતુ સોનમ વાંગચુકને આજે આમરણ ઉપવાસના 20 દિવસ થઈ ગયા છે. તેમણે કરેલી અપીલની અસર છેલ્લા બે દિવસથી દેખાવા લાગી છે.

ગઈકાલે પણ જંતરમંતર પણ ઘણી ભીડ હતી. આજે પણ અમે જ્યારે જંતરમંતર પર ગયા ત્યારે સવારથી લોકોની ભારે ભીડ જોવા મળી હતી.

આ સાથે અનેક રાજ્યોમાંથી આવેલા યુવાનો પોતપોતાની શક્તિ અનુસાર પ્રતીક ઉપવાસ પણ કરી રહ્યા છે.

લૅફ્ટ સંગઠન 'આઇસા'નાં નેહા પણ આજે આમરણ ઉપવાસના 19 દિવસ પૂર્ણ કરી ચૂક્યાં છે. તેમને જ્યારે અમે મળવા ગયા ત્યારે તેઓ વાતચીત કરી શકે તેવી સ્થિતિમાં નહોતાં.

તેમની સાથે અન્ય બે વિદ્યાર્થીઓ હતાં એ પણ 17 દિવસના ઉપવાસ પૂર્ણ કરી ચૂક્યા છે.

નેહા અને તેમના સાથીઓની સ્થિતિ અંગે તેમના જ એક પ્રતિનિધિએ જણાવ્યું એ અનુસાર હવે તેમને ચાલવામાં પણ મુશ્કેલી પડી રહી છે અને બે લોકોનો ટેકો લઈને ચાલવું પડે છે.

સોનમ વાંગચુકને મળવા આવનાર મોટા ભાગના નેતાઓ, સામાજિક કાર્યકર્તાઓ અને લોકો આ વિદ્યાર્થીઓને પણ મળવા આવી રહ્યા છે.

આ આંદોલનની સમાનાંતરે જ આજે અન્ય મુદ્દાઓને લઈને પણ લોકો વિરોધપ્રદર્શન કરતા જોવા મળી રહ્યા હતા. બિહારના ભારત તિવારી કથિત ઍન્કાઉન્ટર મુદ્દે પણ લોકો વિરોધપ્રદર્શન કરી રહ્યા હતા અને અલગથી મંચ તૈયાર કરવામાં આવ્યો હતો.

ગુજરાતથી આ આંદોલનમાં ભાગ લેવા આવેલા લોકોએ શું કહ્યું?

કચ્છથી આવેલાં એક યુવતીએ પોતાની ઓળખ છુપાવવાની શરતે બીબીસી ગુજરાતી સાથે વાત કરી હતી.

તેમના પરિવારને ખ્યાલ નહોતો કે તેઓ આ આંદોલનમાં ભાગ લેવા આવેલાં છે. તેઓ પહેલી વાર જ દિલ્હી આવ્યાં હતાં અને તેમણે એક દિવસનો પ્રતીકાત્મક ઉપવાસ પણ કર્યો હતો.

તેમનું કહેવું છે કે, "માત્ર સરકારી શાળાઓની જ નહીં, ગુજરાતમાં પ્રાઇવેટ શાળાઓની પણ હાલત ખરાબ છે. તેના શિક્ષકો પણ ક્વૉલિફાઇડ નથી, તેમનું સ્તર અત્યંત ખરાબ નથી. આપણે આપણી એજ્યુકેશન સિસ્ટમ પર ધ્યાન આપવાની જરૂર છે."

તેઓ કહે છે કે, "મને નોકરીમાંથી રજા ન મળી તો હું પગાર ન લેવાની શરતે અહીં ભાગ પ્રદર્શનમાં ભાગ લેવા આવી છું. આપણા ગુજરાતીઓ આવી બાબતોમાં બહુ ઓછો ભાગ લે છે. તેમણે અહીં આવવું જોઈએ. આપણા દેશ માટે લડવું એ આપણી ફરજ છે."

તેમણે કહ્યું હતું કે, "આપણને શરમ આવવી જોઈએ કે આપણે આવી સરકાર ચૂંટી છે. કેટલાં બાળકોએ આપઘાત કર્યો એ જુઓ. આપણે આ સરકાર જ બદલવાની જરૂર છે. આજે યુવાનો નહીં આવે, ગુજરાતીઓ નહીં આવે તો હવે આપણને બીજી તક નહીં મળે."

અમદાવાદથી આંદોલનમાં ભાગ લેવા આવેલા સંદીપ પટેલ એક આંત્રપ્રેન્યોર છે.

તેમનું કહેવું છે કે જંતરમંતર આવવાનું એક માત્ર કારણ એ છે કે દેશમાં ભણતરની વૅલ્યૂ ઘટતી જાય છે.

સંદીપનું કહેવું છે કે, "અમે સોનમ વાંગચુકને સમર્થન કરવા આવ્યા છીએ. અમારી માગ એવી છે કે આવી સરકાર આ દેશમાંથી જાય. પરંતુ તેની એક શરૂઆત ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાથી થાય. અમે સૌ 20 તારીખે આ માર્ચમાં જવાના છીએ અને ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લઈને જ રહીશું."

તેઓ કહે છે, "અમે આ સિસ્ટમથી કંટાળી ગયા છીએ. આ સિસ્ટમમાં ભણતરની કોઈ વૅલ્યૂ નથી રહી. અમે સૌને વિનંતી કરીએ છીએ કે તમે 20 તારીખે દિલ્હી આવો. આ સરકારને હલાવવાની જરૂર છે."

'ચાર દિવસ ઉપવાસ પર બેઠો, ઘરે ખબર નથી'

અનેક લોકો પોતપોતાના રાજ્યથી દિલ્હી આવીને પ્રતીકાત્મક ઉપવાસ કરી રહ્યા છે. ઘણા લોકો એવા છે કે તેમના પરિવારને પણ ખબર નથી.

જૂનાગઢથી આવેલા સિદ્ધે દિલ્હીમાં ચાર દિવસના ઉપવાસ કર્યા હતા. પરંતુ તેમનું શુગર અત્યંત લો થઈ જતાં તેમના ઉપવાસ તોડાવવામાં આવ્યા હતા.

સિદ્ધનું કહેવું છે કે, "22 લોકોએ આપઘાત કર્યો છે. તેમની મજબૂરી હતી. હું તેમના માટે અહીં આવ્યો છું. હું સાત દિવસ માટે જ આવ્યો હતો અને આજે 18 દિવસ પછી હું અહીં જ છું. મને ઘરેથી પરિવારના લોકો બોલાવી રહ્યા છે."

તેમણે કહ્યું હતું કે, "સોનમ વાંગચુક અમારા સપોર્ટમાં છે. તેઓ સ્ટુડન્ટ્સની મદદ કરી રહ્યા છે. અત્યારની તાનાશાહી સરકાર અમારું સાંભળતી જ નથી. એવામાં સોનમ વાંગચુક મોટી લડાઈ લડી રહ્યા છે. અમે માત્ર ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાથી નહીં અટકીએ, આ સિસ્ટમ પણ બદલવી પડશે."

સિદ્ધ કહે છે કે, "આ દેશ માટે મોટો મુદ્દો છે. ગુજરાતના લોકો અહીં બહુ ઓછા આવે છે. શિક્ષણ માટે આપણે સૌએ અહીં આવવું જોઈએ."

તો વીજાપુરના કણસા ગામથી આવેલા વિપુલ પરમારનું કહેવું છે કે શિક્ષણની પદ્ધતિમાં બદલાવ આવે તે માટે જ તેઓ આટલે દૂરથી આવ્યા છે.

તેઓ કહે છે, "સોનમ વાંગચુકની સ્થિતિ ગંભીર છે. તેઓ આ બધું પોતાના માટે કરતા નથી, ભારતના ભવિષ્ય માટે કરી રહ્યા છે. દરેક લોકોએ આ ધ્યાને લેવું જોઈએ અને જાગૃત થઈને સપોર્ટ કરવો જોઈએ."

વિપુલ પરમારનું કહેવું છે કે સરકાર સાંભળવા જ તૈયાર નથી તો કહેવું કોને?

તેઓ કહે છે કે, "મારા ઘરમાં કોઈને આ વિશે જાજો ખ્યાલ નથી. મેં બે દિવસથી ખાધું નહોતું. મેં ઘરે કીધું કે જો મને દિલ્હી જાવા દો તો હું ભોજન કરીશ. મેં એમને સમજાવ્યા અને મિત્ર પાસેથી પૈસા લઈને અહીં આવ્યો."

તેઓ કહે છે કે, "ગુજરાતની પ્રજાને આ આંદોલનમાં કોઈ રસ નથી એવું લાગે છે. ચૂપ રહેવાથી ખૂબ નુકસાન થવાનું છે. દેશની સ્થિતિ વિશે જાણો અને જાગો બસ એટલું જ કહેવા માગું છું."

સોનમ વાંગચુક વિશે લોકોના મનમાં ચિંતા

આજે દિવસભર અમે જ્યારે અનેક લોકો વિશે વાતચીત કરી ત્યારે એ સ્પષ્ટ દેખાતું હતું કે સોનમ વાંગચુક જ આંદોલનનું મુખ્ય કેન્દ્ર છે.

અનેક લોકો આજે પણ સોનમ વાંગચુકને રૂબરૂ મળવા માટે લાંબી લાઇનમાં ઊભા હતા.

જે લોકો તેમને મળી નથી શકતા એ તેમના સુધી કોઈ પુસ્તક કે પછી હાથે લખેલો પત્ર પણ પહોંચાડવાની કોશિશ કરતાં નજરે પડ્યા હતા.

આ સિવાય 20મી તારીખે જંતરમંતરથી કૉક્રોચ જનતા પાર્ટીએ સંસદ ભવન સુધી એક શાંતિપૂર્ણ માર્ચનું એલાન કર્યું છે.

સોનમ વાંગચુકે ગઈકાલે લોકોને ભાવુક અપીલ કરી હતી કે, "જો તમે 20મી તારીખે મોટી સંખ્યામાં નહીં આવો તો હું ભૂત બનીને પાછો આવીશ. હું 20 તારીખ સુધી તો જીવવાનો છું."

આંદોલનસ્થળે હાજર લોકો 20મી તારીખની માર્ચ માટે ઉત્સાહિત જણાતા હતા. એવામાં આ આંદોલન 20મી તારીખે વધુ મોટું સ્વરૂપ ધારણ કરે તો નવાઈ નહીં.

નરેન્દ્ર મોદી સરકાર તરફથી આ માર્ચ મામલે કોઈ નિવેદન આવ્યું નથી.

દિલ્હી હાઇકોર્ટે 16 જુલાઈએ સોનમ વાંગચુકની તબિયતની દરરોજ ડૉક્ટરો પાસે તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. તેના જવાબમાં કેન્દ્ર સરકાર તરફથી કહેવામાં આવ્યું હતું કે સરકારી ડૉક્ટર અને વિશેષજ્ઞ સતત સોનમ વાંગચુકની તબિયતની તપાસ કરી રહ્યા છે.

(આત્મહત્યા એક ગંભીર માનસિક અને સામાજિક સમસ્યા છે. જો તમે પણ તણાવનો સામનો કરી રહ્યા હો, તો તમે ભારત સરકારની જીવન સાથી હેલ્પલાઇન 18002333330 દ્વારા મદદ મેળવી શકો છો. તમારે તમારા મિત્રો અને સંબંધીઓ સાથે પણ આ વિશે વાત કરવી જોઈએ.)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન