You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Ind Vs Eng : જસપ્રીત બુમરાહનો એ બૉલ જે સ્ટમ્પને અડ્યો પણ વિકેટ ન મળી, ભારતની હારનાં કારણો
કૉર્ડિફ ખાતે ઇંગ્લૅન્ડ અને ભારત વચ્ચે રમાયેલી બીજી વનડે મૅચમાં ઇંગ્લૅન્ડે ભારતને ચાર વિકેટે હરાવ્યું છે. ત્રણ મૅચની શ્રેણી હવે 1-1 પર બરાબર થઈ ગઈ છે. ભારતે પહેલી વનડેમાં જીત મેળવી હતી.
ટૉસ જીત્યા પછી ઇંગ્લૅન્ડે પ્રથમ બૉલિંગનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમ પહેલાં બેટિંગ માટે ઊતરી અને 44 ઓવરમાં 233 રન બનાવીને ઑલ આઉટ થઈ ગઈ હતી.
ભારત તરફથી વિરાટ કોહલીએ 65 અને શ્રેયસ અય્યરે 66 રન બનાવ્યા હતા. પરંતુ બંને બૅટ્સમૅનોની મહેનત પાણીમાં ગઈ હતી અને ભારત મોટો સ્કોર બનાવી શક્યું ન હતું.
ટાર્ગેટનો પીછો કરતા ઇંગ્લૅન્ડની ટીમે 45 ઓવરમાં જીત મેળવી લીધી હતી. ઇંગ્લૅન્ડ તરફથી જો રૂટે સૌથી વધારે નોટ આઉટ 99 રન બનાવ્યા હતા.
ભારત તરફથી જસપ્રીત બુમરાહે ત્રણ વિકેટ લીધી હતી, જ્યારે ઇંગ્લૅન્ડ તરફથી જોફરા આર્ચર અને ગસ એટકિન્સને ત્રણ-ત્રણ વિકેટો મેળવી હતી.
વિરાટનું ટકી રહેવું જરૂરી હતું
ભારતની બેટિંગ વખતે વિરાટ કોહલી બહુ ઉપયોગી રન બનાવી રહ્યા હતા, પરંતુ 65 રનના સ્કોર પર તેમણે વિકેટ ગુમાવી હતી. ઇંગ્લૅન્ડે ભારતની છેલ્લી સાત વિકેટ માત્ર 55 રનમાં ખેરવી હતી. ભારત પોતાની ઇંનિંગમાં છેલ્લી છ ઓવરોનો ઉપયોગ ન કરી શક્યું જે સૌથી મોટો આંચકો હતો.
એક સમયે એવું લાગતું હતું કે ભારત બહુ મજબૂત સ્કોર બનાવશે કારણ કે કોહલી પિચ પર હતા ત્યારે 32મી ઓવરમાં ભારતનો સ્કોર ત્રણ વિકેટે 178 રન હતો. પરંતુ જોફરા આર્ચરની બૉલિંગમાં કોહલીએ કૅચ આપી દીધો હતો.
તેના કારણે ઇંગ્લૅન્ડ માટે એક આશાનું કિરણ સર્જાયું અને તેનો ભરપૂર લાભ લીધો હતો. ત્યાર પછીની ઓવરમાં જ સાકિબ મોહમ્મદે વૉશિંગ્ટન સુંદરની વિકેટ લીધી હતી. જોફરા આર્ચરે અક્ષર પટેલ અને શિવમ દૂબેને પણ આઉટ કરી દીધા અને કુલ 47 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શ્રેયસ અય્યરે પણ ભારતનો સ્કોર સન્માનજનક બનાવવામાં ભૂમિકા ભજવી અને 66 રન બનાવ્યા હતા, પરંતુ એટ્કિન્સને ત્રણ દડામાં બે વિકેટો લીધી અને ઓલ-રાઉન્ડ બૉલિંગ પર્ફૉર્મન્સ કર્યું હતું.
એટ્કિન્સને કુલ 50 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી, જ્યારે મહમૂદે 52 રનમાં બે વિકેટ લીધી હતી.
ભારત 50 ઓવર વાપરી પણ ન શક્યું
ભારતે ટૉસ હારીને બેટિંગ મેળવી ત્યારે ઓપનર રોહિત શર્મા અને શુભમ ગીલે પ્રથમ વિકેટ માટે 44 રન બનાવ્યા હતા. આર્ચરની બૉલિંગ વખતે રોહિત શર્માનો કૅચ ફાઇન લેગમાં છૂટી ગયો હતો.
શર્માએ 47 બૉલમાં 26 રન બનાવ્યા હતા અને તેણે સાવધાનીપૂર્વક બેટિંગ કરી હતી.
ગિલની બેટિંગમાં આત્મવિશ્વાસ દેખાતો હતો, પરંતુ તેઓ લાંબુ ટકી શક્યા ન હતા. ગિલે 31 રન બનાવ્યા હતા.
ત્યાર પછી ઇશાન કિશને માત્ર એક રન બનાવ્યો અને 111 રન પર ત્રણ વિકેટ પડી ગઈ હતી. તે વખતે લાગતું હતું કે ગમે ત્યારે ધબડકો થઈ જશે, પરંતુ કોહલીએ ટીમને સ્થિરતા આપી અને સતત સ્ટ્રાઇક બદલતા રહેવાનું ચાલુ રાખ્યું.
ભારત તરફથી બુમરાએ એક સિક્સ અને ત્રણ બાઉન્ડ્રી સાથે ફટાફટ 20 રન બનાવ્યા હતા.
જોકે, ભારતે નિયમિત અંતરે વિકેટ ગુમાવવાનું ચાલુ રાખ્યું જેના કારણે મૅચ પણ ગુમાવવી પડી હતી. શિવમ દૂબે પહેલા જ બોલ પર આઉટ થઈ ગયા હતા.
બુમરાહની બૉલિંગની એ યાદગાર પળ
ઇંગ્લૅન્ડની બેટિંગ વખતે ચોથી ઓવરમાં જસપ્રીત બુમરાહે રૂટને નો બૉલ ફેંક્યો હતો, જેના કારણે ઇંગ્લૅન્ડને ફ્રી હિટ મળી હતી.
ફ્રી હીટનો દડો એટલો અફલાતુન યૉર્કર હતો કે ઑફ-સ્ટમ્પથી સહેજ બહાર પડીને બૉલ સ્ટમ્પને ટચ થયો હતો.
તેના કારણે બૅઇલ્સની લાલ લાઇટ ઝબકી હતી, પરંતુ બેઇલ નીચે પડી ન હતી.
ફ્રી હીટ હોવાના કારણે વિકેટ જવાની ચિંતા ન હતી, છતાં આ મૅચની આ સૌથી રસપ્રદ પળ હતી.
ત્યાર પછી રૂટે ઇંગ્લૅન્ડ માટે વિજયી ઇનિંગ ખેલી હતી.
જો રૂટ 99 રને નૉટ આઉટ રહ્યા
ઇંગ્લૅન્ડની બેટિંગ વખતે જો રૂટે ટીમને એવા સમયે સ્થિરતા આપી જ્યારે બીજા છેડેથી વિકેટો સતત પડી રહી હતી. તેના કારણે જ 5.5 ઓવર બાકી હતી ત્યારે ઇંગ્લૅન્ડનો વિજય થયો હતો. રૂટને સદી માટે માત્ર એક રનની જરૂર હતી અને ઇંગ્લૅન્ડને જીત માટે ત્રણ રન જરૂરી હતા, ત્યારે ગસ એટકિન્સને બાઉન્ડ્રી ફટકારી જેના કારણે રૂટની સદી પૂરી થઈ શકી ન હતી.
ઇંગ્લૅન્ડની ઇનિંગ શરૂ થઈ ત્યારે પહેલા બોલ પર જ બેન ડકેટ આઉટ થઈ ગયા હતા, તેથી ટીમને સ્થિરતા આપવાની જવાબદારી રૂટ પર આવી ગઈ હતી.
ડકેટને જસપ્રિત બુમરાહે આઉટ કર્યા હતા. તેવી જ રીતે જેકોબ બેથેલ પણ પ્રસિધ ક્રિષ્નાની બોલિંગમાં આઉટ થયા હતા. ત્રીજી વિકેટ માટે ઇંગ્લૅન્ડે 45 રનની ભાગીદારી કરી હતી.
હવે રવિવારે આ શ્રેણી કઈ દિશામાં જાય છે તે નક્કી થશે કારણ કે અગાઉ ટી-20 સિરિઝને ઇંગ્લૅન્ડે 4-0થી જીતી લીધી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન