You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

Live, વડા પ્રધાન નરેન્દ્ર મોદીને રાહુલનો જવાબ, ‘તમે જ આપણાં બાળકોના ભવિષ્યને સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું’

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે કહ્યું કે દેશના યુવાનોનું હિત અને તેમનું ભવિષ્ય તેમની પ્રાથમિકતા છે. વડા પ્રધાનનું આ નિવેદન પેપર લીક સહિત પરીક્ષાઓમાં કથિત અનિયમિતતાઓને લઈને વિદ્યાર્થીઓ અને સામાજિક કાર્યકર્તાઓનાં પ્રદર્શનો વચ્ચે આવ્યું છે. પીએમ મોદીને જવાબ આપતા લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ ઍક્સ પર લખ્યું છે, “તમે જ અમારા યુવાનોના ભવિષ્યને સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું છે."

સારાંશ

  • પીએમ મોદીએ કહ્યું કે પેપર લીકના દોષિતોને સજા આપવા માટે જલદી ફાસ્ટ ટ્રૅક કોર્ટ બનાવવામાં આવશે.
  • વડા પ્રધાન નરેન્દ્ર મોદીને રાહુલનો જવાબ, 'તમે જ આપણાં બાળકોના ભવિષ્યને સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું'.
  • પ્રમાણે ગુરુવારે વહેલી સવારથી જ જંતર-મંતર પર ભારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.
  • કૉક્રોચ જનતા પાર્ટીના મુખ્ય પ્રવક્તા સૌરવ દાસે કહ્યું છે કે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા મામલે કોઈ સમજૂતી નહીં થાય.
  • દિલ્હીના મેટ્રો સ્ટેશન આજે પણ રહેશે બંધ, કેટલાંક સ્ટેશનો પર ઇન્ટરચેન્જની સુવિધા.

લાઇવ કવરેજ

બીબીસી ગુજરાતી

  1. પીએમ મોદીના પેપર લીકની તપાસ મામલે કરેલી ઘોષણા પર રાહુલ ગાંધીએ શું કહ્યું?

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે કહ્યું કે દેશના યુવાનોનું હિત અને તેમનું ભવિષ્ય તેમની પ્રાથમિકતા છે. તેમણે પેપર લીકના મામલે ફાસ્ટ ટ્રૅક કોર્ટની રચનાની જાહેરાત પણ કરી.

    વડા પ્રધાનનું આ નિવેદન પેપર લીક સહિત પરીક્ષાઓમાં કથિત અનિયમિતતાઓને લઈને વિદ્યાર્થીઓ અને સામાજિક કાર્યકર્તાઓનાં પ્રદર્શનો વચ્ચે આવ્યું છે.

    પીએમ મોદીને જવાબ આપતા લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ ઍક્સ પર લખ્યું છે, “તમે જ અમારા યુવાનોના ભવિષ્યને સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું છે. તમે ન માત્ર આપણી શિક્ષણ વ્યવસ્થા પર કબજો કરવાથી તેને બરબાદ કરી પરંતુ તેને પ્રોત્સાહન પણ આપ્યું. તેને માટે જવાબદાર તમામ લોકોને તમે સંરક્ષણ આપ્યું.”

    રાહુલે કહ્યું કે વિદ્યાર્થીઓની આ માંગ છે.

    1. ધર્મેન્દ્ર પ્રધાનને પદ પરથી હઠાવવામાં આવે.

    2. વિદ્યાર્થીઓની માફી માગવામાં આવે.

    3. વિદ્યાર્થીઓ સાથે થયેલી હિંસાના જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે.

  2. જંતર-મંતર પર પ્રદર્શનકારીઓ પર કરાયેલા લાઠીચાર્જ બાદ પીએમ મોદી નીટ પેપર લીક પર શું બોલ્યા?

    દિલ્હીમાં છેલ્લા એક મહિનાથી પેપર લીકની ઘટનામાં મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ સાથે વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા છે ત્યારે નરેન્દ્ર મોદીએ પેપર લીક મામલે પહેલીવાર નિવેદન આપ્યું છે.

    તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, “દેશના યુવાનોનું હિત અને તેમનું ભવિષ્ય સર્વોચ્ચ પ્રાથમિક્તા છે. પેપર લીકના તમામ કેસમાં દોષિતોને જલદી કઠોર સજા આપવા માટે, કેસના ઝડપી નિરાકરણ માટે ફાસ્ટ ટ્રૅક કોર્ટનું ગઠન કરવામાં આવશે. આ સંબંધમાં આદેશ આપી દેવામાં આવ્યા છે કે સંબંધિત વિભાગ યોગ્ય કાર્યવાહી સુનિશ્ચિત કરે.”

    તેમણે વધુમાં ઉમેર્યું, “વિદ્યાર્થીઓનાં હિતોની સુરક્ષા કરવા માટે, સરકાર દ્વારા લેવામાં આવી રહેલા નિર્ણયોની શૃંખલામાં આ એક મહત્ત્વપૂર્ણ પગલું છે. યુવાનોના ભવિષ્યની સાથે રમનારા કોઈપણ વ્યક્તિને છોડવામાં નહીં આવે.”

  3. દિલ્હીના મેટ્રો સ્ટેશન આજે પણ રહેશે બંધ, કેટલાંક સ્ટેશનો પર ઇન્ટરચેન્જની સુવિધા

    દિલ્હી મેટ્રોએ જણાવ્યું છે કે ગુરુવાર (23 જુલાઈ, 2026)ના રોજ તેનાં ઘણાં મેટ્રો સ્ટેશનો બંધ રહેશે.

    દિલ્હી મેટ્રોએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર તેની જાણકારી આપતા કહ્યું કે “આગળનો આદેશ ન મળે ત્યાં સુધી નિમ્નલિખિત મેટ્રો સ્ટેશનો બંધ રહેશે, જોકે, રાજીવ ચોક, મંડી હાઉસ અને સેન્ટ્રલ સેક્રેટેરિએટ સ્ટેશનો પર ઇન્ટરચેન્જ (લાઇન બદલવાની સુવિધા) ઉપલબ્ધ રહેશે.”

    જે મેટ્રો સ્ટેશન બંધ રહેશે તે આ પ્રમાણે છે. લોક કલ્યાણ માર્ગ, રાજીવ ચોક, પટેલ ચોક, રામકૃષ્ણ આશ્રમ માર્ગ, બારાખંભા રોડ, સુપ્રીમ કોર્ટ, સેવા તીર્થ, જનપથ, મંડી હાઉસ, સેન્ટ્રલ સેક્રેટેરિએટ, આઈટીઓ, દિલ્હી ગેટ, ઇન્દ્રપ્રસ્થ, ખાન માર્કેટ, જોર બાગ અને શિવાજી સ્ટેડિયમ

    જોકે, રાજીવ ચોક, મંડી હાઉસ અને સેન્ટ્રલ સેક્રેટેરિએટ સ્ટેશનો પર માત્ર લાઇન બદલવાની સુવિધા રહેશે. આ સ્ટેશનો પર યાત્રીઓ એન્ટ્રી કે ઍક્ઝિટ નહીં કરી શકે.

    આ પહેલાં બુધવારે દિલ્હી મેટ્રોએ કહ્યું હતું કે તેનાં તમામ સ્ટેશનો પૅસેન્જર સર્વિસ માટે ખુલ્લાં છે.

  4. દિલ્હી જંતર-મંતર: 'ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સાથે કોઈ સમજૂતી નહીં', સીજેપીના પ્રવક્તા સૌરવ દાસ

    કૉક્રોચ જનતા પાર્ટીના મુખ્ય પ્રવક્તા સૌરવ દાસે સમાચાર એજન્સી એએનઆઈને જણાવ્યું છે કે “મેં આજે (બુધવારે) સોનમ વાંગચુક સાથે ઘણી વખત વાતચીત કરી હતી. જેનો નિષ્કર્ષ એ હતો કે આ શાંતિપૂર્ણ વિરોધપ્રદર્શન માત્ર શાંતિપૂર્ણ જ રહેવું જોઈએ. તેમણે જાહેરમાં તમામ પ્રદર્શનકારીઓને શાંતિ જાળવવા અને વિરોધપ્રદર્શને યોગ્ય રીતે ચલાવવાની અપીલ કરી છે.”

    સૌરવ દાસે વધુમાં જણાવ્યું, “આ દેશમાં અગાઉ થયેલા વિરોધપ્રદર્શનમાં સત્તારૂઢ શાસન દ્વારા ઘૂસાડવામાં આવેલા અસામાજિક તત્ત્વો સમગ્ર પ્રદર્શનને ભટકાવી દે છે. અંતે શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરનારાઓને જ દોષિત ઠેરવવામાં આવે છે. આવું ન થવું જોઈએ.”

    તેમણે કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાની પ્રેસ કૉન્ફરન્સ અંગે કહ્યું, “જેપી નડ્ડાએ શરમ અનુભવવી જોઈએ. લોકો અહીં 30થી વધુ દિવસથી બેઠા છે. રાજકારણ તો તેઓ જ કરી રહ્યા છે. ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સિવાય અમને કશું ખપતું નથી. ત્યાં સુધી પ્રદર્શન ચાલુ જ રહેશે. પછી જેટલો પણ સમય લાગે.”

    ઉલ્લેખનીય છે કે બુધવારે દિલ્હી પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે કે કનૉટ પ્લેસમાં ટૉલ્સ્ટૉય માર્ગ પાસે રાત્રે લગભગ 8-30 કલાકે કેટલાક ઉપદ્રવીઓએ પોલીસ પર બૉટલ અને પથ્થર ફેંક્યા હતા જેને કારણે કનૉટ પ્લેસના એસીપી વિવેક ભગત ઘાયલ થઈ ગયા હતા અને તેમને આરએમએલ હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

    દિલ્હીના ઍડિશનલ કમિશનર ઑફ પોલીસ જય પ્રકાશે પણ સમાચાર સંસ્થા એએનઆઈને જણાવ્યું હતું કે “જ્યારે અમે જંતર-મંતર પાસે ડ્યૂટી પર હતા ત્યારે કેટલાક લોકોએ અચાનક પ્લાસ્ટિકની બૉટલો અને પથ્થરો ફેંકવા લાગ્યા હતા. તે પૈકી એક પથ્થર મને પણ વાગ્યો હતો. હાલ મારી સારવાર ચાલી રહી છે. મને સામાન્ય ફ્રૅક્ચર થયું છે.”

    બીજી તરફ સમાચાર સંસ્થા એએનઆઈના જણાવ્યા પ્રમાણે ગુરુવારની વહેલી સવારથી જ જંતર-મંતર પર ભારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.

    બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન